Wednesday, February 14, 2018

મોનાલીસાનું હાસ્ય અને રેણુકા ચૌધરીનું અટ્ટહાસ્ય


મોનાલીસાનું હાસ્ય અને રેણુકા ચૌધરીનું અટ્ટહાસ્ય
રેણુકા ચૌધરી એક સ્ત્રી છે એમને હસવા પર નિયમન રાખવું જોઈએ. મા-બાપે, પતિએ કે કોન્ગ્રેસે એમને કેવી રીતે હસવું તે શીખવાડ્યું જ નથી. મૃદૃહાસ્ય, સ્મિત,મલકાવવું જેવા હાસ્ય વીશે કાલીદાસે લખ્યાનો આછેરો ખ્યાલ છે પણ  પંડિત દીનદયાલ ઉપાધ્યાય કે ગુરુ ગોલવલકરે આ વીશે પોતાના ગ્રંથોમાં સ્ત્રીઓએ કેવીરીતે હસવું તેનો કોઇ ઉલ્લેખ કર્યો હોય તેવું મારી જાણમાં નથી. ગાંધીજીએ પણ સ્ત્રીએ કેવી રીતે હસવું તે વીશે વીગતે લખ્યું હોય તેવું નારાયણ દેસાઈએ કોઈ જગ્યાએ નોંધ્યું નથી. હા, હમણાં નરેન્દ્રભાઈનું એક પુસ્તક બહાર પડ્યું. છે ખાસ કરીને પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે છે “પરીક્ષા યોદ્ધાઓ” (Exam Warriors) - એમાં 'હસતાં હસતાં’  પરીક્ષા કેવીરીતે આપી શકાય તે વિશે વિગતે વાત કરી છે, તેવું માનવ સંસાધન મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરનું કહેવું છે. આમતો જશોદાબેન શિક્ષણનો જીવ હતાં, શિક્ષિકા હતાં પણ એ બંનેના ટુંકા સહવાસમાં મોદી સાહેબને વિદ્યાર્થીઓને પડતી તકલીફોની જાણ થઈ હશે. સામાન્ય રીતે બાળકો પરીક્ષાખંડમાં હસતાં નથી હોતાં પણ કેવીરીતે હસતાં હસતાં પરીક્ષા આપવી તે તો પુસ્તક વાંચીએ ત્યારે ખબર પડે. એમાંય વળી છોકરીઓ હસતાં હસતાં પરીક્ષા આપી શકે કે નહીં તે વીશે વડાપ્રધાનનો મત શું છે? તે તો હજુ આપણને ખબર નથી.
મહાન વિચારક ગુર્જીએફે પણ ‘હાસ્ય’ વિશે લખ્યું છે. ‘હાસ્ય’એ ‘બગાસા’થી  તદ્દન વિરોધી છે. સામાન્ય રીતે એમ મનાયછે કે જયારે શ્રોતા તમારા પ્રવચનથી કંટાળે અથવા વાત સાથે કનેક્ટ ન થઈ શકે ત્યારે તે હવાને જોરથી અંદર લેવાની કોશિશ કરે છે, જેને સામાન્ય જન ‘બગાસું’ કહે છે. બગાસું પણ એક સંદેશ છે. બગાસા દ્વારા વક્તાને સુચના મોકલાય છે, હવે બસ!. પણ જયારે શ્રોતા વક્તાની વાત પર હાસ્ય રેલાવે છે ત્યારે શ્રોતા અને વક્તા ‘કનેક્ટ’ થયેલા મનાય છે. શ્રોતા વાતને ધ્યાનથી સાંભળી રહ્યો છે તેમ કહી શકાય. હાસ્યમાં હવાને ધડાકાભેર બહાર ફેકવાની પ્રક્રિયા થાય છે. જે હાસ્ય રેલાવનાર વ્યક્તિ, પુરુષ કે સ્ત્રીને, માનસિક તનાવમાંથી ઘડીભર મુક્ત કરે છે. સંસ્કૃતિક રીતે જોવા જઈએ તો હાસ્ય નકારાત્મક અને સકારાત્મક મુલ્યો સાથે જોડાયેલું છે. જયારે તમે ખુલીને હસો છો ત્યારે તમે ડરથી અને કોઈ પણ જાતના જુલ્મથી મુક્ત છો એમ મનાય છે. પણ તમે દબાયેલ-ચંપાયેલ ઢબે હસો તો એમ માનવામાં આવે છે તમે સામાજિક- રાજકીય ડર કે શિસ્તને અનુસરી તમારી જાતને શંકોરી રહ્યા છો.
હેન્રી બર્ગશન નામના નિબંધકારે ‘હાસ્ય’ વિશે ગહન ચીંતન કર્યું છે. તેમના પુસ્તક Le rireમાં લખે છે કે હાસ્યનો એક ઉપયોગ સમાજમાં રહેલા અસામાજિક લક્ષણોની હાંસી ઉડાવી સમાજને સુધારવાનો છે. હાસ્યએ સંપૂર્ણપણે માનવીય લક્ષણ છે. દાનવોના હાસ્યને માનવીય હાસ્ય સાથે જોડાય નહિ. બર્ગશન લખે છે કે માણસ ઝાડ કે પહાડ સામે નથી હસતો. પણ કેટલીકવાર પ્રાણીઓની અને માનવીઓની વિચિત્ર હરકતો પર તે જરૂર હશે છે. આર્થર કોસત્લર નામના વિદ્વાને પોતાના પુસ્તક The Act of Creattionમાં હાસ્યનું મનોવૈજ્ઞાનિક અને તાત્વિક રીતે પૃથ્થકરણ કરતાં કહ્યું છે કે હાસ્યદ્વારા વિરોધ કરવો તે માણસની ઉક્રાન્તીનું ઉદ્દાત સ્વરૂપ દર્શાવે છે. પણ જો આપણે આ ઉક્રાન્તીના નિયમને કે ડાર્વિનને નકારતા હોઈએ અને આપણી ગતિ આગળ નહિ પણ પાછળ તરફની હોય ત્યારે હાસ્યને વિરોધના સાધન તરીકે જોવામાં અડચણ પેદા થાય છે. નાટ્યશાસ્ત્રમાં પણ હાસ્યરસના અનેક પ્રકાર વિશે ચર્ચા કરવામાં આવી છે. સ્મિત, ઉપહાસ, અપહાસ વગેરે. દરેકનું એક વિશિષ્ઠ મહત્વ રહેલું છે.રેણુંકાજીનું “સંસદીય હાસ્ય”, કે જેના વિશે બંધારણ રચનારા આપણા પૂર્વજોએ કોઈ ઉલ્લેખ ન કરી, સમગ્ર ભારતની પ્રજાને દ્વિધામાં મુકી દીધા. સમગ્ર વિરોધપક્ષે ‘સમૂહહાસ્ય’નો એક વિરોધના હથિયાર તરીકે ઉપયોગ કરેલાના ઇતિહાસમાં અનેક દાખલા છે. પણ એક જ સભ્યએ આ હથિયારનો ઉપયોગ કર્યો હોય અને અન્ય સભ્યોએ તેજ સમયે મનમોહનજીના પ્રિય હથિયાર મૌનનો ઉપયોગ કર્યો હોય તેવો સંસદીય લોકશાહીના ઇતિહાસનો પ્રથમ પ્રસંગ હતો. એનું ઐતિહાસિક મુલ્ય જરૂર છે. ઈતિહાસ રેનુકાજી સાથે જરૂર ન્યાય કરશે. એક સ્ત્રીએ વડાપ્રધાનના ‘જુઠ’ સામે હાથવગા હથિયાર એવા હાસ્યથી સામનો કર્યો હતો એમ સુવર્ણ અક્ષરે કદાચ નોધાય પણ ખરું. જેમ પીલુ મોદીને તેમના ‘હજાર જવાબીપણા’ માટે યાદ કરીએ છીએ તે જ રીતે.
રેણુકાજીએ હસવાની જગ્યાએ રડવું જોઈતું હતું.  વડાપ્રધાને એ મતલબનું કહ્યું કે -આધારકાર્ડ નો મૂળ વિચાર અટલજી સરકારનો હતો. અડવાણીજીએ આવા પ્રકારના કાર્ડની વાત છેક ૧૯૯૮માં કરેલી. આ સાંભળી રેણુકાજી હાસ્ય રોકી ન શક્યા.તેમને આ વાત હળાહળ જૂઠ લાગી. પણ વડાપ્રધાન કંઈ પહેલીવાર તો જૂઠ બોલતા ન હતા. જૂઠ પર હસાય થોડું. ગંભીર થવું પડે. જ્યારે દેશના વડાપ્રધાન જૂઠું બોલે ત્યારે પ્રજાએ હસવું ન જોઈએ પણ લાજવું જોઇએ.
કિરણ રીજ્જુજીએ ટ્વીટર પર રામાયણ ધારાવાહિકનો એક ટુકડો મુક્યો. જેમાં રાવણની બહેન સુર્પણખા જોરજોરથી હસી રહી છે અને સાથે રીજ્જુંએ રેણુકાજીનો ફોટો પણ ચિપકાવી દીધો. સંસદમાં વડાપ્રધાને પણ રામાયણને યાદ કરેલી. ઘણા સમય પછી રામાયણ સીરીયલમાં સાંભળ્યું હતું તેવું હાસ્ય સંભાળવા મળ્યું એમ પણ કહ્યું. આમ, વડાપ્રધાનના મગજમાં કોનું હાસ્ય હતું તે રીજ્જુજીની પોસ્ટથી સમજાઈ ગયું. આમ તો રામાયણમાં બે ખાસ પાત્રો અટ્ટહાસ્ય કરે છે, રાવણ અને તેમની બહેન સુર્પણખા. રાવણ ઉર્ફે લંકેશ (અરવિંદ ત્રિવેદી) તો પાછળ થી ભાજપમાં જોડાયેલા અને સીતાજી (દીપિકા ચીખલીયા) પણ. બંને એક જ પક્ષમાં. રામ (અરુણ ગોવિલ)નો કોઈ પક્ષે ભાવ નહિ પૂછેલો.

લીયોનાર્ડો દી વીન્છી ની પીંછી મોનાલીસાનું હાસ્ય ચીતરી ન હોતી શકી,કેટલું રહસ્યમય હાસ્ય હશે? ચિત્ર જોનારને ઘડીકમાં લાગે કે મોનાલીસા હસે છે તો ઘડીકમાં તેનો ચેહરો ગંભીર લાગે.  સાલ ૨૦૦૦માં ધી ન્યુયોક ટાઈમ્સના વિજ્ઞાન વિભાગમાં એક લેખ છપાયો હતો તેમાં કેટલાક ડોક્ટરોએ મોનાલિસાના આ હાસ્યનું નિદાન કરવાનો પ્રયત્ન કરેલ. કદાચ આ વાતથી આપણા રાજ્યસભાના અધ્યક્ષ શ્રી વેન્કૈયાજી પરિચિત હશે તેથી જ તેમને રેણુંકાજીને “ ગો ટુ ધ ડોક્ટર” કહ્યું હશે.
બીજી એ વાત કે રેણુકાજી અટ્ટહાસ્ય કરે તો પેલા રહસ્યમય સ્મિત ચિતરનાર મહાન ચિત્રકારનો આત્મા પણ દુભાય અને દેશની આબરૂના લીરેલીરા થાય. મોદીજી એ બરોબર ટોક્યા 'દેશથી વધીને કંઇ ના હોય'. હા,તમારે વિરોધ જ કરવો હોય તો ખુરશી ઉછાળો,માઈક તોડી નાખો,સુત્રોચ્ચાર કરો,કાગળો ફાડો,ગાળો ભાંડો પણ હસાય થોડું..... બીલકુલ નહીં....
                                                                      -ઇલીયાસ મનસુરી